- સંજય વિ. શાહ ‘શર્મિલ’
ભાગ – ૧
દુનિયાના સોમાંથી કદાચ બે-ચાર લોકો જ લેખક કે કવિ હશે.પણ દુનિયામાં સોમાંથી કદાચ બે-ચાર લોકો જ એવા હશે જે દ્રઢપણે એવું સ્વીકારતા (કે માનતા પણ) હશે કે મને લખતા નથી આવડતું. આવી જ માન્યતા લોકો અભિનય વિશે પણ રાખે છે. અમુક કામ માણસ પાસે આવડત, અભ્યાસ અને અઢળક સમર્પણ માગે છે એ સત્ય, “હું લખી શકું છુ..,” “હું પણ લેખક છું…,” અથવા, “તક મળે તો હું પણ જબરદસ્ત ઍક્ટર છું એ સાબિત કરી બતાવું…” એવું માનનારા (મનમાં ખાંડ ખાનારા, અર્થાત જ) સ્વીકારવાને તૈયાર જ હોતા નથી.મનમાં ને મનમાં રાંડવા અને મનમાં ને મનમાં પૈણવામાં આંય કોઈના બાપનું ક્યાં કંઈ જાય છે?
તો પણ, આ લેખ લખતી વખતે સૅલ્ફ-ડિક્લેરડ અથવા જાતેપોતે પોતાને મહાલેખક, મહાકવિ કે મહાઅભિનેતા માની લેનારાને ઉતારી પાડવા છે એવો જરાય ઈરાદો નથી જ. અહીં તો ઈરાદો છે એવા લોકોની મુશ્કેલી સમજવાનો જેઓ સારું વિચારે છે, વિચારી શકે છે અને ધારે તો સારું લખી પણ શકે. અહીં તો ઈરાદો છે લખી શકે એને ખરેખર સારું લખે ત્યાં સુધી દોરી જવામાં મદદરૂપ થવાનો.
શરૂ કરીએ?

બૅન્કના ચૅક પર સહી કરવા સિવાય જેમણે પૅન હાથમાં નથી લીધી એવા ઘણા લોકો આ લખનારે જોયા છે. શબ્દ, સાહિત્ય અને સર્જન એમના માટે ચંદ્ર, મંગળ અને શનિ જેવી જ દૂરની દુનિયા હોય છે. છતાં, એમાના ઘણા એવા હોય છે જેઓ વાતચીતમાં પણ ઘણી એવી વાત કહી જાય જે કોઈક ઉત્તમ સાહિત્યથી કમ ના હોય. એ અલગ વાત છે કે સાહિત્યકારની જેમ વિચારને કાગળમાં ઉતારવાની કે સાહિત્ય થકી ઘરનું ગાડું ગબડાવવાની જરૂર કે ચિંતા એમને નથી હોતી. એ એમની મરજીની વાત છે. આપણા માટે અગત્યની વાત છે એ વિચારવાની કે સાવ સાધારણ લાગતા માણસોને અસાધારણ વિચાર આવે છે ક્યાંથી?
અસાધારણ વિચાર જો કે સહુને આવતા હોય છે એ સહેજ. અસાધારણ વિચારને વેધકતાથી સામી વ્યક્તિ સુધી પહોંચાડવાની શક્તિ સૌ પાસે નથી હોતી. એનું કારણ?
એનું કારણ છે શબ્દભંડોળ અને સાધારણ વાતમાં પણ અસાધારણ જોઈ-જાણી-સમજી શકવાની માણસની હથોટી. સાહિત્ય એ કદાચ બીજું કશું નથી પણ દેખીતી વાતને જુદી રીતે, રાધર વિશિષ્ટ રીતે જોઈ-જાણી-સમજી શકવાની કળા છે. એ કળા જેને આવડે છે એ સાહિત્યકાર જ છે, એ લખે તો પણ અને ના લખે તો પણ. જેમને નથી લખવું છતાં સરસ્વતી ફળી છે એમને સલામ. જેમને લખવું છે એમને એક ટિપ – અસાધારણ જુઓ છો તમે? અનુભવી શકો છો? સૌથી અગત્યનું એ કે અસાધારણ કશુંક શબ્દો થકી વ્યક્ત કરી શકો છો? હા, તો સરસ. ના, તો આગળ વાચો.

અસાધારણ અનુભવાય છે, સમજાય છે પણ કાગળ પર ઉતારી શકાતું નથી એવું હોય તો તમારે તમારું શબ્દભંડોળ વધારવું રહ્યું. સાથે જ, જે પોતાને અસાધારણ લાગે છે એ ખરેખર અસાધારણ છે કે નહીં એ બરાબર ચકાસવું. ઘણીવાર વિચાર સાધારણ હોવા છતાં એની રજુઆત અસાધારણ હોઈ શકે છે. હિન્દી ફિલ્મોનાં અસંખ્ય ગીત એનાં દ્રષ્ટાંત છે. ગીતો જ શા માટે, કથા-પટકથા-સંવાદ પણ. એવી જ રીતે, છાપાંમાં છપાતા સમાચારોના દાખલા લો. સમાચાર એક જ હોય પણ અમુક છાપામાં એની રજૂઆત રસપ્રદ હોય અને તમુકમાં કંટાળાજનક. અમુકમાં કોઈક સમાચાર ધ્યાનાકર્ષક મથાળાથી વાચવા લલચાવે અને તમુક સમાચાર અગત્યના હોવા છતાં નીરસ મથાળાને લીધે કોઈનું ધ્યાન ખેંચે નહીં. મુદ્દો સમજાયો?
સાહિત્યસર્જન માટે જરૂરી છે સરસ વિચાર, અને સાથે જ રસાળ રજૂઆત. ક્યારેક સાધારણ વિચારને રસાળ રજૂઆતથી માણવાલાયક બનાવો તો પણ નૉ પ્રૉબ્લેમ. પણ એ બન્ને માટે ઉત્કૄષ્ટ શબ્દભંડોળ તો જોઈએ જ. સાધારણ વિચારને સરસ વાચન બનાવવા માટે તો ખાસ… ગરબડ ત્યાં જ છે. દરેક ભાષાના લોકોમાં છે. શબ્દભંડોળ મળે શિક્ષણથી, વાચનથી, વૈવિધ્યસભર શબ્દોથી છલકતા વાત-વ્યહવારથી. આપણે ત્યાં શિક્ષણના મોરચે ભાષા, ઈતિહાસ, ભૂગોળ અને સમાજશાસ્ત્ર (અને સાથે જ રમગગમત પણ, જે અત્યારે આપણી ચર્ચા બહારનો મુદ્દો હોવાથી વધુ વિગતમાં ના પડીએ) સૌથી વધુ ઉપેક્ષિત થતા વિષય છે. પરિણામ? સર્જનાત્મક લેખન તો ઠીક, અસંખ્ય લોકોને સાચી રીતે પોતાનું નામ લખતા પણ નથી આવડતું. અગેઈન, વ્યાકરણનો મુદ્દો પણ આજે છેડવો નથી એટલે આ વાત એટલા જ સંદર્ભમાં સમજીએ કે લોકો ભાષાથી કેટલા અળગા છે, અલિપ્ત છે. આવી હાલતમાં સાહિત્યકારોનો મોટો ફાલ ઉતરે તો કેવી રીતે? મૂળે, જેઓ લખવા ઉત્સુક છે એ પણ ખરેખર લખે તો કયા આત્મવિશ્વાસ સાથે લખે?
તેમ છતાં જેઓ પોતાની ભાષા સાથે, પારિવારિક, સામાજિક અને આંતરિક રીતે ગાઢપણે સંકળાઈ શકે છે તેઓ લખી તો શકે છે જ. એ લોકોમાંના ઘણા પેલી કૅટેગરીવાળા બને છે જે ચૅક પર સહી કરવા સિવાય પૅન ઉપાડતા નથી છતાં દમદાર વિચારો વ્યક્ત કરી શકે છે. લખવા માટે થનગનતા લોકોએ ખરેખર લખવું હોય તો, શબ્દભંડોળ વધારવું રહ્યું. વિચારોને અનુભવ, નિરીક્ષણ અને માનસિક ખટપટ કરીને અનોખા, આગવા બનાવવા રહ્યા. વિચારોને કેવી રીતે કસવા એ લેખકની અંગત જવાબદારી છે છતાં, વિચાર સહિત શબ્દભંડોળ સમૄદ્ધ કરવા માટે એક ટિપ – વાચો.
ઓહોહોહો… કોઈકને થતું હશે કે મારા લખવું છે એ અગત્યનું છે, એના માટે વાચવાની શી જરૂર છે?
સીધું, સ્પષ્ટ અને સચોટ કારણ છે: કૂવામાં હોય તો હવાડામાં આવે.
સારું લખવા માટે સતત વાચન અનિવાર્ય છે. વાચન માટે હાથમાં લીધેલું સાહિત્ય સારું જ હોય એ જો કે અનિવાર્ય નથી. શું છે કે વાચ્યા વિના તો ખબર પડવાની નથી કે આ ચોક્કસ સાહિત્ય કેવું છે. ફિલ્મ લાઈનમાં ઘણા જણને આ લખનારે આ વાક્ય બોલતા સાંભળ્યા છે, “જે ફિલ્મ ખરાબ હોય એ તો ખાસ જોવી. એનાથી ખબર પડે કે આવી ફિલ્મ (કે આવાં દ્રશ્ય) ના બનાવાય. સાહિત્યના મામલામાં સાવ એવું નથી. આ નવલકથા કે આ નવલિકા કે આ આત્મકથા કે આ ગીત કે આ ગઝલ ખરાબ છે એટલે એને વાચીને કંઈક શીખવા મળશે એવો ભ્રમ રાખવો જ નહીં. નુકસાન વધારે થશે, નફા કરતાં. હા, એ પણ લગભગ નક્કી કે જે વાચનમાં રસ પડે નહીં એ પૂરું કરવું અશક્ય થઈ જાય. પણ વાચવું, બેશક, અનિવાર્ય છે.

વાચનારને પોતાની મુનસફી અને ક્ષમતા પ્રમાણે સાહિત્ય સાથે વિસ્તરવા મળે છે, મનગમતી સૄષ્ટિ સર્જવા મળે છે. સાથે, વાચન થકી અજાણ્યા શબ્દો, અટપટી લાગતી બોલી કે લઢણ, અનોખા શબ્દપ્રયોગો પણ સમજાવા માંડે છે. કોઈ દિવસ સ્વિત્ઝર્લૅન્ડ નહીં ગયેલા માણસને બૉલિવુડની ફિલ્મોને લીધે સ્વિત્ઝર્લૅન્ડની ગલી ગલીઓ (સૉરી, એના પર્વતો-પર્વતો!) ખબર હોય છે તેમ. વાચન એ લેખનનો ખોરાક છે એવું પણ કહેવાય છે. વાસ્તવમાં, વાચન એ વિચારોની મદદથી તૈયાર થઈ શકનારા ખોરાકનો મરી-મસાલો છે. વાચન એ લેખનની સોડમ પણ છે. વગર વાચ્યે લખવું એ સોય-દોરા-કાપડ વિના દરજીકામ કરવા બરાબર છે.
સવાલ એ છે કે વાચવું તો શું વાચવું?
સવાલ એ પણ છે કે દોદધામભરી જિંદગીમાં વાચવાનો સમય ક્યાંથી કાઢવો?
માફ કરજો, પણ અત્યારે આગળ લખવા માટે આ લખનારે પણ સમય કાઢવો જરાક અઘરો થઈ રહ્યો છે… તો આગળની વાત, આ બે સવાલના જવાબ અને વધુ ચર્ચા એક વિરામ પછી કરીશું. મળીએ ત્યારે…
(ક્રમશઃ)
(Photo courtesy – http://nicasiodesign.com/blog/tag/seo, http://it.coe.uga.edu/~treeves/edit6900/task2a.html, http://rickischultz.wordpress.com/2010/01/page/2)

Comments
મુંબઈ નિવાસી નાટ્યલેખક, ટીવી સિરિયલ લેખક, કવિ, પત્રકાર અને વિચારકના આપ સૌને વિનમ્ર નમસ્કાર.
Tamara lekh na pahela fakara sathe aa darshavela vakya no med khato nathi.
Aabhar.
Sir, khub saras che….aa lakhan ghanu upyogi thai pade tevu che….mane tamara blog vishe aaje j khabar padi(Gujarati Hasya Lekhan Parivar mathi)….. aagal vachvani haji vadhu maja aavse…..
thank you very much rinkle… hope you will keep reading my blog and also posting your views…
Hi Mr Sanjay u r too good yaar.
thanks for your appreciation shyam!!
dear sanjay
its really nice suggestion from you. Its helps to many people who have knowledge, but they don’t know how to write ? what to do ?
very nice.
- piyush pandhi
thx piyush for appreciation!!!
સંજયભાઈ…નૂતન વર્ષાભિનંદન. આ વિષય પર વધારે લખતા રહેશો.