Posted by: egujarati on: તારીખ મહિનો, વર્ષ
રણકાર
“અચ્છા? સાવ એવો છે આ માણસ?? મને તો હતું કે…” એક મંતવ્ય ઉછ્ળ્યું અને જોતજોતામાં કોઈક માણસ વિશે માન્યતાનો મધપુડો બંધાઈ ગયો દસ-બાર મગજમાં. મંતવ્ય ઉછાળનાર જો એ જેની વાત કરતો હતો એને જાણતો નહોતો. માત્ર એ પોતાના અનુમાન મુજબ વાત કરી રહ્યો હતો. કેમ કે ટોળાને શું જોઈએ આખરે? નકરી વાતો અને સમય પસાર કરવાનાં કારણો જ? બે ભૂલ કાયમ બહુ મોટી અને ખોટી કહેવાય, એક તો કોઈ વિશે વ્યવસ્થિત જાણ્યા વિના અનુમાન બાંધી લેવું અને બીજી એટલે કારણ વિના કોઈ માટે મંતવ્ય ઉછાળવું. અનુમાન બાંધનારા પોતાના માટે નુકસાન અને બીજા માટે આફત સર્જે છે. રસ્તા પર મળતી પાણીપુરી કેવી છે એની પણ ખાધા વિના ખબર પડતી નથી તો માણસ કેવો એની જાણ એના સથવારા વિના, એની સાથે સમય વિતાવ્યા વિના ક્યાંથી ખબર પડે? કોઈના વિશે અનુમાન બાંધવું એ પણ અયોગ્ય છે. એક ભાઈ કહે, “અરે! પાંચ-સાત વરસ અમે બેઉ ભેગા હતા… એને આગળ આવવામાં બધી મદદ મેં કરી… એ અલગ વાત છે કે અઢી-ત્રણ વરસથી અમે કૉન્ટેક્ટમાં નથી પણ હું એને બરાબર જાણું છે.” કેવી રીતે જાણી શકો બરાબર, અઢી-ત્રણ વરસથી જેને મળ્યા નથી એને? માણસનું જીવન રોજેરોજ બદલાય છે. અનુભવો થકી સ્વભાવ, કાર્ય પદ્ધતિ, નિર્ણયશક્તિ, ગમો અને અણગમો બધું જ બદલાયા કરે છે. કોઈના માટે એટલે જ અનુમાન શાને બાંધવું? કરવું હોય તો એટલું કરો કે મંતવ્ય અને અનુમાન બેઉને અળગા રાખો. પાસે આવવા દો તો સારી અપેક્ષા સાથે જ. પોતાનું વ્યક્તિત્ત્વ અને બીજાનું જીવન આ એક નાનકડું કામ કરીને સુધારવામાં શું ખોટું છે?
- કલ્પના જોશી
તાજા પ્રતિભાવ