રણકાર
સમય સે પહલે ઔર ભાગ્ય સે અધિક કિસી કો કુછ નહીં મિલતા. આ વાક્ય બહુ જાણીતું છે અને એ વાક્ય માટે સૌ એક અવાજે કદાચ કહેશે, “એકદમ સાચી વાત છે.” આ વાક્યને હવે જરા જુદી રીતે જોઈએ અને મૂલવીએ તો કેવું? એમાં થોડી તોડફોડ કરીને આવું કંઈક વાક્ય બનાવી જોઈએ, “સમય કે કારણ ઔર ભાગ્ય કી ગલતી સે કભી કિસી કા કુછ નહીં ગયા.” મતલબ એ કે સમય તો સાવ મૌન છે અને એની આવનજાવન નિરંતર છે, અફર છે. સમય ક્યારેય એવી રીતે આવતો જ નથી કે કોઈ ચોક્કસ માણસને એ જાણી કરીને પરેશાન કરી મૂકે. રહી વાત ભાગ્યની તો એના ઘડવૈયા કોણ? આપણે પોતે જ તો. ભાગ્ય એટલે કર્મોનો ચોપડો. જેવું કરશો તેવું મેળવશો. સમય સે પહલે જો ડરી જશો, હારી જશો કે નબળું ભાગ્ય સ્વીકારી લેશો તો પછી સમય આવે અને જાય એનાથી વળી કયો ચમત્કાર થવાનો? ભાગ્યના ભાગાકાર માટે જવાબદાર જાતે સ્વીકારેલી હારથી વિશેષ કોઈ નથી.
ગઇકાલે જ એક સરસ વાક્ય વાચ્યું કે સચીન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયો અને આજે, ભાગ્યનો ખેલ જુઓ કે એ સચીન વિશે જ હવે દસમા ધોરણમાં પાઠ ભણાવાય છે. તો શું નાપાસ થયેલા સચીને, “હવે મારું કાંઈ નહીં આવે,” એમ કરીને બેઠા રહેવાનું મુનાસિબ માન્યું હોત તો આજે સચીન જે છે એ બની શકત ખરો? અંગ્રેજો ભારતમાં આવ્યા પછી એમણે પગપેસારો કરતાં અને છેવટે આખો દેશ કબ્જે કરતાં ખાસ્સો સમય લાગ્યો હતો. શરૂઆતમાં એમણે જો, “આ દેશ આપણે જીતી શકીએ તેમ નથી,” કહીને ઉચાળા ભરી દીધા હોત તો શું થાત? પહેલા પ્રયત્ને કે પ્રારંભિક તબક્કે ઓછું મળે કે ના મળે એનાથી કાયમી પરાજય થોડો માની લેવાય? કોઇક હારમાં આવનાર વિજયના ભણકારા પણ વાગતા હોય છે એને સાંભળો તો ખરા. જે ગુમાવ્યું એના કરતાં કશુંક મોટું, મહાન અને અપાર મળવાનું છે એ ભરોસો રાખો તો ખરા. નીકળી પડો મેદાને અને હાકલ પાડો પોતાને. સમયને એનું કામ કરવા દો પણ ભાગ્યને પોતાની ઇચ્છા પ્રમાણે લખવા માટે જાત ઘસતા રહો. બાકીનું બધું આપોઆપ ગોઠવાતું જશે.
– કલ્પના જોશી
સાવ અમસ્તી…
હવે પછી જે કાગળ લખીએ કોરાં કોરાં લખીએ?
દાયણ, ચંદનના દરવાજા અમથી વાતો કરીએ?
સાવ અમસ્તી ઇચ્છાઓ ને સાવ અમસ્તી ઇર્ષ્યા…
સાવ છલોછલ મનનો દરિયો સુર વિના તીરકીટધા…
સાવ અમસ્તાં વાદળ વરસે તોય બને છપ્પનિયો,
સૂકી ધરતી જેવું હૈયું નિંદામણથી હૈયો?
કાલુંઘેલું અપનાવીને મેલું મેલી દઈએ?
દાયણ, ચંદનના દરવાજા અમથી વાતો કરીએ?
હોઠ પલાણે શબ્દોને પણ નહીં લાગણી ભોળી
ખોલી ઊભી રહી જાશે એ મતલબની સૌ ઝોળી
પરમ પૂજ્યથી પૂગે લિખિતંગ કેટકેટલા વાંધા
વરસ વરસની તરસની વચ્ચે કેમ કરીશું સાંધા?
સાચા-ખોટા, મારા-તારા, મૂકી મોજથી તરીએ?
દાયણ, ચંદનના દરવાજા અમથી વાતો કરીએ?
– સંજય વિ. શાહ ‘શર્મિલ’