Tag Archives: best gujarati blog

રણકાર Rankaar for 19 08 2010

રણકાર

આત્મવિશ્વાસ. એક અત્યંત ગજબ છતાં ગેબી ગુણ. સૌની પાસે વિશ્વાસ હોય છે પણ સૌની પાસે આત્મવિશ્વાસ હોવો અઘરો. અભિનેતા ઘણા હોય પણ દિલીપ કુમાર કે આમિર ખાનની જેમ સૌ અભિનય કરી શકતા નથી. આવડતું હોવાનો વિશ્વાસ અને આવડતાને ઉચ્ચતમ શિખરે લઈ જવાનો આત્મવિશ્વાસ, એમાં ફરક છે. વિશ્વાસમાં આત્મા ભળતી હશે તો આત્મવિશ્વાસ સર્જાતો હશે. કે પછી આત્મામાં વિશ્વાસ હોય તો આત્મવિશ્વાસનો સંચાર થતો હશે. ચોથા ધોરણમાં ભણતાં અનેક બાળકોમાંથી એક જ પ્રથમ નંબરે આવે તો એ નૈસર્ગિક બુદ્ધિ અને વિશ્વાસનું ફળ.

એક જ ઉદ્યોગમાં હજારો બિઝનેસમેન હોય અને એક જ જણ ક્યાંનો ક્યાં નીકળી જાય તો એ ગણતરીબદ્ધ બુદ્ધિ અને આત્મવિશ્વાસનું ફળ. જો કે આત્મવિશ્વાસનું પણ સાકર જેવું છે. એ જેટલો હોવો જોઈએ તેટલો જ શોભે. આવડે છે એટલે આગળ વધીશ જ એ વધુ પડતો આત્મવિશ્વાસ છે. તમને આવડે છે તો બીજાને ક્યાં નથી આવડતું? તમારાથી ઓછું આવડતું હશે, કે વધુ આવડતું હશે, પણ આવડે તો છે. એટલે વાત આવે છે આવડવા સાથે કરી બતાવવાની. એના માટે એકધારો રિયાઝ કરવો પડે, શીખ્યાનો સદુપયોગ કરવો પડે. આત્મવિશ્વાસ સપ્રમાણ હશે તો સફળતા પ્રમાણ બહરની મળશે. વધુ પડતો હશે તો લોચો થવાની શક્યતા રહેશે. વિશ્વાસ કાર્ય કરવા પર રાખો અને આત્મવિશ્વાસ એને બીજા બધા કરતાં સારી રીતે કરી બતાવવનો રાખો. લો, આત્મવિશ્વાસ રાખ્યો જ છે તો ને સાચો પાડવા હવે જાત ઘસવા માંડો. એમાં જ તો સર્વસ્વ સમાયેલું છે.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://bit.ly/cdOP5s)

.

રણકાર * Rankaar for 19 08 2010

રક્તદાન કરવા જઈએ ત્યારે સૌથી પહેલું કામ બ્લડ ગ્રુપ ચેક કરવાનું થાય. પણ કોઈને પૈસા આપીએ તો ક્યારેય કોઈએ એનું ગ્રુપ ચેક કર્યાનું ક્યાંય સાંભળ્યું નથી. પૈસા સારા કામના છે, કે ખરાબ કામના? હાયના છે કે ન્યાયના છે? સતના છે કે અસતના? આ બે-ચાર વાક્યો હાલમાં જ વાચ્યા અને મન ચકરાવે ચડ્યું. ધનને બહુ જ ઘનિષ્ઠ સંબંધ છે જીવન સાથે. પૈસા વિના ગાડું ચલાવવું અશક્ય જ. પણ પૈસા કેવી રીતે કમાયા છીએ એના પર મનોમંથન થવું જ જોઈએ. એટલી હદે કે હરામના સો રૂપિયા પણ ઘરમાં આવવા જોઈએ નહીં. લોકો ખોટાં કામ કરતા હોય તો કરવા દો. ઇમાનદાર હોવાથી પાછળ રહી ગયા છો તોય અફસોસ નહીં કરો. યાદ રાખજો કે પૈસા ખરેખર તો એટલા જ ખપતા હોય છે જેટલાથી નિરાંતે સમય વીતે. એ પછી ઝાઝા આવશે તો પણ પૈસા મહત્ત્વના નથી. હિસાબની બહાર સંપત્તિ ભેગી કરવાની દડમજલમાં હિસાબની બહાર હેરાન થવાનો શો ફાયદો? અને ખરાબ પૈસો કમાઈને અંતરાત્મા ડંખે તો કમાયાનો અર્થ શો?

વીસ વરસની ઉંમરે સિકંદર ગ્રીસનો રાજા બન્યો, અને ૩૧ વરસનો થયો ત્યાં સુધીમાં સિરિયા, બેબીલૉન, ઇરાન, અફઘાનિસ્તાન… કેટલાય દેશ એણે કબ્જે કર્યા. તો શું? એનાથી એ અમર નહીં થયો અને સો માણસનું ભોજન ખાતો નહીં થયો. સાચું કમાઈને સાચું રહી શકાશે તો પથારી મખમલની હશે કે કંતાનની ઊંઘ તો મીઠી જ આવશે. સુખેથી જાગવા અને સંતોષથી ઊંઘવા ઘરમાં આવતા પૈસાનું ગ્રુપ ચેક કરી લેજો હવેથી.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://www.markchurms.com/index-military-art-prints.html)

સુવિચાર (નવા)

મારા બ્લૉગ પરના સુવિચાર વિભાગની લોકપ્રિયતા જોઈને મેં હવેથી આ વિભાગમાં નિયમિતપણે નવા સુવિચાર ઉમેરવાનું ઠરાવ્યું છે. સાથે જ, માત્ર લખાણ મૂકે રાખવાને બદલે એમાં સૌંદર્ય ઉમેરવા માટે જેમના સુવિચાર ટાંકીશ તેમની તસવીર મૂકવાની પણ પૂરતી કોશિશ કરીશ. આ વિભાગમાં નિયમિતપણે નવા સુવિચાર ઉમેરાશે તેથી આપ સૌ એની વારંવાર મુલાકાત લેતા રહેજો. તો પ્રસ્તુત છે નવા સુવિચારનો પહેલો મણકો, બુધવાર ૧૮ ઑગસ્ટ ૨૦૧૦ના રોજ…

(સુવિચારના અને સુવાક્યના રસિયાઓને એક જ વિનંતી: આ વિભાગની મુલાકાત લઈને અને એને માણીને તમારી કમૅન્ટ્સ અચૂકપણે લખતા જજો. તમારો પ્રતિભાવ મારા માટે નવું લખવાની ચાનક ચડાવતું ટૉનિક છે. )

________________________

નૈસર્ગિક આવડત વિનાના શિક્ષણ કરતાં શિક્ષણ વિનાની નૈસર્ગિક આવડતે માણસને કીર્તિ અને ગુણના ઉચ્ચ મુકામે ઘણી વધારે વાર પહોંચાડ્યો છે.

– માર્કસ સિસરૉ (રૉમન વક્તા, રાજનીતિજ્ઞ)

________________________

ખરેખરા દુ:ખી લોકો એ છે જેઓ પોતે જે કરી શકતા હોય તે કામ કર્યા અધૂરાં છોડી દે છે. અને એ કામ શરૂ કરી દે છે જે તેઓને સમજાતાં નથી. નવાઈની વાત નથી કે તેઓને છેવટે છેવટે દુ:ખ જ મળે છે.

– જોહાન ગૅર્ટા (જર્મન કવિ, નાટ્યકાર)

________________________

વહીવટી (એક્ઝિક્યુટિવ) આવડત એટલે શું કરવું છે એ ફટાફટ નક્કી કરવું અને પછી એ કામ કરવાને એટલી જ જલ્દી કોઇકને શોધી કાઢવું.

– જૉન પૉલાર્ડ (અમેરિકન રાજકારણી)

________________________

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ.

– બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ)

________________________

બે પ્રકારના માણસો હોય છે, એક જેઓ (ક્યાં જવું તેનું) માર્ગદર્શન પૂછશે અને બીજા, જેઓ (પોતાની મેળે) પોતાનો રસ્તો શોધી લેશે. બન્ને જણ એમની મંજિલ સુધી પહોંચશે ખરા પણ )પહોંચવાનો) સંતોષ બીજા પ્રકારમાં ઘણો વધારે છે.

ડૉમિનિક સ્લાઇવર (લેખક)

________________________

રણકાર * Rankaar for 18 08 2010

શ્રાવણ મહિનો છે. શોખને કાજે કેટલાય લોકો પાનાં ટીચતા હોય છે આ માસમાં ક્યાંક તીન પત્તી રમાય તો ક્યાંક રમી. ઠેક છે ભાઈ, જેને જે શોખ અને જેને જે રમત ગમી. રમતના અમુક નિયમ જો પાળી શકાય તો રમતમાં હારવાની શક્યતા ઓછી થઈ જાય. અને આ વાત પત્તાંની નથી, પ્રિય જિંદગીની છે. નિયમ એ છે કે રમત એ શરૂ કરવાની જે રમવાની હોંશ મનમાંથી છલકે. તન સાથે મન જે રમતમાં જોડાય છે એ રમત જ ખરો આનંદ બની જાય છે.

જ્યાં આનંદ હોય ત્યાં હાર પહેલાં તો ખમવી પડતી નથી અને હારવું પડે તો હાર આકરી થતી નથી. પછીનો નિયમ એ છે કે રમતમાં ત્યાં સુધી ટકી રહેવું જ્યાં સુધી છેલ્લી ક્ષણ બાકી હોય. અધવચ્ચે રમત છોડવી, આશાને નિરાશા બનાવી નાખવી એ યોગ્ય નથી. મેદાનમાં ટકી રહેશો તો વિજયનું વરદાન મળે. રમતનો એક આકરો નિયમ એ પણ છે કે પોતાની મર્યાદા અને ક્ષમતા, બેઉને બરાબર ધ્યાનમાં રાખીને જ રમત રમવી. કોઈ ગમે તે કહે અને મન ગમે તેટલું ઉછળે, આપણે હદમાં રહેવાનું. બેહદ થવું એ બરબાદી નોતરવાની નિશાની છે. રમતનો હજી એક સુંદર નિયમ છે. રમત કોઈપણ હોય, આજે એ ના આવડતી હોય અને રમવાની ઇચ્છા થતી હોય તો એ શીખી શકાય છે. પછી મેદાનમાં ઉતરતા કોણ રોકે છે? આ બધી જ વાત હવે કામકાજ, વહેવાર, સંબંધ અને દરેક અનુસંધાનમાં મૂલવી અને સમજી જુઓ. શક્ય છે કે બધી જ રમતમાં કાબેલ ખેલાડી થવાનો માર્ગ મળી આવે.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://picturemyworld.cafod.org.uk/2009/08/26/2876/)