રણકાર
આત્મવિશ્વાસ. એક અત્યંત ગજબ છતાં ગેબી ગુણ. સૌની પાસે વિશ્વાસ હોય છે પણ સૌની પાસે આત્મવિશ્વાસ હોવો અઘરો. અભિનેતા ઘણા હોય પણ દિલીપ કુમાર કે આમિર ખાનની જેમ સૌ અભિનય કરી શકતા નથી. આવડતું હોવાનો વિશ્વાસ અને આવડતાને ઉચ્ચતમ શિખરે લઈ જવાનો આત્મવિશ્વાસ, એમાં ફરક છે. વિશ્વાસમાં આત્મા ભળતી હશે તો આત્મવિશ્વાસ સર્જાતો હશે. કે પછી આત્મામાં વિશ્વાસ હોય તો આત્મવિશ્વાસનો સંચાર થતો હશે. ચોથા ધોરણમાં ભણતાં અનેક બાળકોમાંથી એક જ પ્રથમ નંબરે આવે તો એ નૈસર્ગિક બુદ્ધિ અને વિશ્વાસનું ફળ.
એક જ ઉદ્યોગમાં હજારો બિઝનેસમેન હોય અને એક જ જણ ક્યાંનો ક્યાં નીકળી જાય તો એ ગણતરીબદ્ધ બુદ્ધિ અને આત્મવિશ્વાસનું ફળ. જો કે આત્મવિશ્વાસનું પણ સાકર જેવું છે. એ જેટલો હોવો જોઈએ તેટલો જ શોભે. આવડે છે એટલે આગળ વધીશ જ એ વધુ પડતો આત્મવિશ્વાસ છે. તમને આવડે છે તો બીજાને ક્યાં નથી આવડતું? તમારાથી ઓછું આવડતું હશે, કે વધુ આવડતું હશે, પણ આવડે તો છે. એટલે વાત આવે છે આવડવા સાથે કરી બતાવવાની. એના માટે એકધારો રિયાઝ કરવો પડે, શીખ્યાનો સદુપયોગ કરવો પડે. આત્મવિશ્વાસ સપ્રમાણ હશે તો સફળતા પ્રમાણ બહરની મળશે. વધુ પડતો હશે તો લોચો થવાની શક્યતા રહેશે. વિશ્વાસ કાર્ય કરવા પર રાખો અને આત્મવિશ્વાસ એને બીજા બધા કરતાં સારી રીતે કરી બતાવવનો રાખો. લો, આત્મવિશ્વાસ રાખ્યો જ છે તો ને સાચો પાડવા હવે જાત ઘસવા માંડો. એમાં જ તો સર્વસ્વ સમાયેલું છે.
– કલ્પના જોશી
(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://bit.ly/cdOP5s)
.