રણકાર
હું ગમે તેનો પક્ષ લઈશ, પણ હું સારી રીતે જાણું છું કે દોષ તો મારો જ નીકળશે.
– લુઈસ તેરમો
દોષરહિત રહેવું એ લગભગ અશક્ય બાબત છે. જીવન એટલે પ્રવૃત્તિઓથી છલકાતી ગાથા. કાર્યરત રહેવું એ જ કાર્ય નથી, નવરા બેસવામાં પણ અણદીઠ્યું કાર્ય તો છે જ. અને જીવનની એ કરુણા છે કે દોષનો ટોપલો સામે ચાલીને સ્વીકારી લેનારા કરતાં બીજા પર દોષનો ટોપલો ઢોળી દેનારા અહીં ઘણા વધારે છે. ભૂલ કરવી કોઈને ગમતી નથી અને કરેલી ભૂલ સ્વીકારવી તો એનાથી પણ ઓછા લોકોને ફાવે છે. એમાં હેરાન એ લોકો વધુ થાય છે જે પ્રમાણમાં ભોળા છે, શાંત છે અને જે-જ્યારે બોલવાનું હોય ત્યારે બોલી શકતા નથી. એમના ભાગે એટલે જ ગાળો ખાવાની આવે, બધાનો રોષ વહોરી લેવાનું આવે અને છેવટે વારો આવે એકાંતમાં પોતાને જ ખીજાવાનો, “શું કામ મારો સ્વભાવ આવો છે? શા માટે હું તડ ને ફડ કરીને બધાની બોલતી બંધ કરવામાં અસમર્થ છું?” હશે, સ્વભાવ જેવો હોય તેવો માન્ય કરવો પડે. પોતાના પર થતા દોષારોપણને ઓછો કરવા કે શક્ય તેટલો ટાળવા અમુક પગલાં લેવા વિશે વિચારી શકાય. જે માણસો સત્યનિષ્ઠ નથી, જે વ્યક્તિ તરીકે તમારું સન્માન જાળવતા નથી એમનાથી બને તેટલા આઘા રહેવાનું નક્કી કરી લો. એવા માણસોથી આઘા ન રહી શકાય એવા સંજોગ હોય તો એમની સાથે વાત-વ્યવહાર કરતી વખતે બમણી સાવચેતી રાખો. સત્ય સામે આવે તે માટે યોગ્ય સમયે જ બોલવાની કળા ધીમે ધીમે પણ શીખવા માંડો. એવાં કાર્યમાં ભાગીદાર બનો નહીં જે ફાવતા નથી, કરવા નથી અથવા કર્યા પછી દોષ માથે આવવાનો ભય વર્તાતો હોય. અઘરું હશે, અટપટું હશે પણ આ બધું શીખવું તો પડશે જ. કેમ કે પોતે જ પોતાના સલાહકાર અને રક્ષક બન્યા વિના દુનિયામાં ચાલે જ નહીં. કરવા માંડો પ્રયત્ન.
– કલ્પના જોશી
Sanjay V Shah દ્વારા
|
Posted in rankaar * રણકાર
|
Also tagged abhiyan, akila, ગુજરાત, ગુજરાતી, મુંબઈ સમાચાર, સાહિત્ય, best gujarati blog, best gujarati blogs, bombay samachar, chitralekha, egujarati, good thought, great quotes, great thoughts, gujarat, gujarat blogs, gujarat samachar, gujarati, gujarati blog, gujarati blogs, gujarati literature, gujarati newspaper, gujarati sahitya, gujarati suvichar, gujrat, gujrati, inspiring quotes, life, literature, mumbai samachar, narendra modi, rankaar, sandesh, sanjay v shah, suvichar, tahuko
|
રણકાર
વાપરતા આ વિશ્વમાં સહુ ધન ખૂટી જાય
વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય
– અજ્ઞાત
જ્ઞાનની મહતા કેટલી? વિશ્વના સૌથી સુખી દેશોમાં સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધારે છે. સાક્ષરતાએ એમને માત્ર આર્થિક પ્રગતો નથી આપી. એની સાથે સંબંધોની સારી સમજણ આપી છે. તકલીફો સામે બાથ ભીડવાની ત્રેવડ પણ વધારે આપી છે. ઓછા જ્ઞાનીઓ જ્યાં નાની અમથી વાતને સમજવામાં અને ઉકેલવામાં દિવસો અને મહિનાઓ કાઢી નાખે ત્યાં સાક્ષરો મોટી સમસ્યાઓનો ઈલાજ પણ ઓછા સમયમાં કાઢી લે છે. વીસમી સદીમાં જગતની પ્રગતિ પાછળ જ્ઞાનના મોરચે થયેલો વિકાસ જ રહ્યો અને હવે એકવીસમી સદીમાં પણ પરિસ્થિતિ એવી જ છે અને એનાથી વધુ જ્ઞાનલક્ષી થશે. જ્ઞાનની મહત્તા આપણે ત્યાં લોકો સમજે છે ખરા? સમજવા તો જોઈએ જ. આખરે જ્ઞાનના ભંડાર જેવા કેટલાય ગ્રંથ આપણી ધરતીએ ત્યારે આ વિશ્વને આપ્યા હતા જ્યારે કેટલાય ખંડ પછાતપણામાં સબડતા હતા. આપણે ત્યાં પણ દરેક માબાપે એવી જ આશા રાખી છે કે એમના કરતાં એમનાં સંતાન વધુ ભણે, જ્ઞાની બને. જ્ઞાનની મહત્તા આપણે પણ સમજીએ છીએ એ વાત આના પરથી સિદ્ધ થઈ જાય છે. છતાં મુશ્કેલી ક્યાં છે? આપણે જ્ઞાન અર્જિત કરીએ છીએ થોડાં વરસ અને એના આધારે કાઢવા મથીએ છીએ આખું જીવન. આપણામાં અપગ્રૅડ થવાની લાલસા કદાચ ઓછી છે. સાથે જ, પોતાના જ્ઞાન માટે અહીં સૌ પોરસાય છે, દામ માગે છે પણ બીજાના જ્ઞાન માટે વિચારે છે, “હવે એમાં વળી શું? આ તો સાવ મામૂલી વાત છે…” જ્ઞાન પામનારા કેટલાય લોકો, ખાસ તો સ્ત્રીઓ, આ દેશમાં રસોડું સંભાળવાથી વધુ અગત્યની ગણાતી નથી. ટેવ તો બદલવી જ પડશે આ બધી. જ્ઞાનને માન, જ્ઞાનને પ્રસાર, જ્ઞાનનું સન્માન અને જ્ઞાન થકી વિકાસ, આટલું કરી શક્યા તો ભયો ભયો!
– કલ્પના જોશી
Sanjay V Shah દ્વારા
|
Posted in rankaar * રણકાર
|
Also tagged abhiyan, ગુજરાતી, મુંબઈ સમાચાર, રણકાર, સંજય વિ. શાહ, સાહિત્ય, best gujarati blog, best gujarati blogs, bombay samachar, chitralekha, divya bhaskar, egujarati, gujarat samachar, gujarati blog, gujarati blogs, gujarati literature, gujarati sahitya, gujrat, gujrati, kavita, literature, mumbai samachar, rankaar, sandesh, sanjay v shah, suvichar
|
રણકાર
જેટલા ઓછા બરાડા પાડશો એટલો તમારો ચહેરો વધારે ખીલશે.
– શર્મિલ
મીઠો મજાનો કંઠ ધરાવતી કોયલ પણ જો આખો દહાડો ઘરની બારીએ બેસીને કુહૂકુહૂ કર્યા કરે તો કેવો પિત્તો જાય? વહેલી સવારે જેની બાંગ સાંભળીને આંખ ઉઘડે એ કૂકડો મગજ ખૂલી અને ધમધમતું થઈ ગયા પછી પણ કૂકડેકૂક કર્યા કરે તો કેવો માઠો લાગે? અવાજનો તો સ્વભાજ છે કે એ પ્રમાણમાં, યોગ્ય જગ્યાએ હોય તો એ અર્થ બને, સાર્થક બને. અયોગ્ય જગ્યાએ અને બિનજરૂરી પ્રમાણમાં થતો કોઈપણ અવાજ નિરર્થક અને નકામો. માણસની જાત જો કે બોલકી છે. બીજા કોઈ પ્રાણીને જે આદત નથી એ એકલા માણસને પડી છે: જરૂર ન હોય છતાં બોલવાની. હજી એક નવાઈ છે. કાગડાનો કકળાટ અને સિંહની ત્રાડમાં અવાજ ગમે તેટલો હોય, પણ એ અવાજ હોય છે સદંતર સાહજિક, ઉત્સ્ફુર્ત અને નૈસર્ગિક. કાગડો ક્યારેય કબૂતર જેવું બોલતો નથી. માણસ વિચિત્ર છે. એ મંદ બોલી જાણે છે, મીઠું બોલી શકે છે છતાં એને તેજ, તીખું, કડવું અને અકર્ણપ્રિય બોલવું પણ ફાવે છે. ચહેરાની સૌમ્યતા કે સ્વભાવની મૄદુતા, માણસ બેઉનો અવાજની અનિષ્ટતા થકી દાટ વાળી શકે છે. માણસે સર્જેલાં અવાજના જ્વાળામુખી જેવાં સાધનો તો વળી અલગ. જે શબ્દ સચોટ નથી એ શબ્દ અગત્યનો નથી. જે વાત શાંતિ ફેલાવતી નથી, પોતાની જવાબદારી સુખરૂપ નિભાવતી નથી એ વાત ઝંઝાવાત કે જંજાળ સિવાય કશું નથી. શું કામ બોલો છો? શું બોલો છો? કેવી રીતે બોલો છો? અને કોને કહો છો? આ ચાર પ્રશ્નનો વાજબી જવાબ મેળવ્યા વિના બોલ્યા તો પણ શું અને બરાડ્યા તો પણ શું? અને જવાબ મેળવીને બોલ્યા તો બીજું જોઈએ પણ શું?
– કલ્પના જોશી
Sanjay V Shah દ્વારા
|
Posted in rankaar * રણકાર
|
Also tagged ગુજરાત, ગુજરાતી, મુંબઈ સમાચાર, રણકાર, સંજય વિ. શાહ, સાહિત્ય, best gujarati blog, best gujarati blogs, bombay samachar, egujarati, gujarati, gujarati blog, gujarati blogs, gujarati literature, gujarati sahitya, gujrat, gujrati, mumbai samachar, poem, rankaar, sahitya, sanjay v shah, suvichar
|
મુલાકાત
મિલ જાયે ઈસ તરહ
દો લહરેં જિસ તરહ
ફિર હો ના જૂદા હાં યે વાદા રહા…
– ગુલશન બાવરા
એકમેકને મળો અને જો મળવામાં મોજ ના હોય તો મળવાનું શું? મળવું હોય તો સંપૂર્ણપણે, સારી રીતે અને પૂરા મન સાથે જ મળાય. હવે જો કે મન નહીં, મશીનથી માણસો એકબીજાને વધારે મળે છે. ઈન્ટરનેટના નૅટવર્કિંગથી. ઈમૅઈલથી. ધરતીના કોણ જાણે કયા બે ખૂણે બે વ્યક્તિ હોય અને બેઉ નૅટવર્કિંગ પર એમ વાતો કરી શકે જાણે ચોવીસ કલાકનો સંગાથ. એ મળવું પણ આમ તો મળવું જ થયું, શરત માત્ર એટલી કે એમ મળવામાં પણ એકબીજાને પૂરું સન્માન અને પૂરો સમય આપીએ. ચૅટિંગ કરો અને એકસાથે પાંચ-સાત લોકો સાથે કરો અને કોઈ એક જણ સાથે, બધી બાબતો ભૂલીને મોકળા મને કરો તો બેઉમાં એકદમ દેખીતો ફરક વર્તાવાનો જ. નૅટવર્કિંગમાં ફ્રૅન્ડ્સ લિસ્ટમાં સેંકડો મિત્રો હોય એ માટે પોરસાવ અને એમાંથી અઠ્ઠાણું ટકા લોકો સાથે વરસમાં એકવાર પણ વાત ના કરો તો શા કામના એ કહેવાતા મિત્રો અને શા કામની એ મિત્રતા? જો કે વાતમાં લાગણી, મુલાકાતમાં મીઠાશ અને જુદા પડવામાં ફરી મળવાની સાચી ઈચ્છા ક્યાં સૌ રાખે છે? હવે તો વાતમાં ગણતરી, મુલાકાતમાં સ્વાર્થ અને જુદા પડવામાં હાશકારો જ વધુ અનુભવે છે સૌ. ઉમળકાના આ અભાવે માણસોને મોળા કરી નાખ્યા છે. થોડી મીઠાશ તો હોવી જ જોઈએ બધી વાતમાં, મુલાકાતમાં પણ. પોતાને ખાતર એક કામ કરી જ લઈએ. ભલે વ્યવસાયિક હોય કે સામાજિક હોય, દરેક મુલાકાતમાં એવા હળીભળી જનારા, એવા નિખાલસ અને એવા ગમતીલા બનીએ કે સામી વ્યક્તિ એ ખાસિયતથી ખુશ થાય. એના હ્રદયમાં આપણને મળ્યાની સ્મૄતિ સાચવે. એનાથી આપણા શુભચિંતકો વધશે, આપણું જીવન પણ વધશે અને આપણો દરેક દિવસ રૂડો થઈ જશે.
– કલ્પના જોશી
Sanjay V Shah દ્વારા
|
Posted in rankaar * રણકાર
|
Also tagged ગુજરાત, ગુજરાતી, મુંબઈ સમાચાર, રણકાર, સંજય વિ. શાહ, સાહિત્ય, best gujarati blog, best gujarati blogs, bombay samachar, egujarati, gujarat, gujarati, gujarati blog, gujarati blogs, gujarati literature, gujarati sahitya, gujrat, gujrati, literature, mumbai samachar, sahitya, sandesh, suvichar
|